આંતરિક શત્રુઓથી બચો
લોભ, મોહ પર અંકુશ મૂકો. : અત્યારે તો આસ્થાસંકટ સામે ઝઝૂમવું એ જ આપત્તિકાલીન યુગધર્મ છે. વિચારોની નિકૃષ્ટતાએ જ લોકમાનસને વિકૃત કરી મૂક્યું છે. તેના કારણે જ વ્યક્તિ અને સમાજની સામે અનેક સંકટો ઊભાં થયાં છે અને મહાવિનાશનાં વાદળો ગર્જી રહ્યાં છે. આમ તો લોકમાનસના સુધારને હંમેશાં સર્વોચ્ચ સ્તરનો પૂણ્યપરમાર્થ ગણવામાં આવ્યો છે અને સાધુબ્રાહ્મણ વર્ગના મહામાનવો પોતાની ક્ષમતાનો અધિકતમ ઉપયોગ આ પ્રયોજન માટે જ કરે છે. પરંતુ આજે તો આ જરૂરિયાતની પૂર્તિને જીવનમરણની સમસ્યા માનવામાં આવે. મહાકાળની અપેક્ષા છે કે જાગૃત આત્માઓ હાલમાં પોતાના લોભ, મોહ પર અંકુશ મૂકે અને જેટલા બની શકે તેટલા શ્રમ, સમય અને મનોયોગ જ નહિ, પરંતુ સાધનોને પણ લોકચિંતનમાં આદર્શવાદિતાનો સમાવેશ કરવા માટે ભાવભરી શ્રદ્ધાંજલિના રૂપમાં સમર્પિત કરે.
ચોર ન બનો. : જે ફક્ત પોતાના માટે જ કમાય છે અને ખાય છે તે ચોર છે. આપણે ચોર ન બનવું જોઈએ. જેઓ લોકહિતની વાત વિચારવામાં, તે દિશામાં કંઈક કરવાની બાબતમાં સમયનો અભાવ બતાવે છે તેમને કયા શબ્દોમાં ધિક્કારવા એ જ સમજાતું નથી. આપણામાંથી કોઈપણ એટલો બધો સ્વાર્થી અને કંજૂસ ન બને કે જે રાષ્ટ્રનિર્માણ માટે, યુગ નિર્માણ માટે મારી પાસે બિલકુલ સમય નથી એવું કહેતો હોય.
બહાનાં ન કાઢો. : યુગસંધિના ઐતિહાસિક પરિવર્તનનો સમય અત્યારે આવ્યો છે. આ મુહૂર્તને અત્યારે એમ કહીને ટાળી ન શકાય કે અમારે અમુક પ્રકારની મુશ્કેલી છે. અમુક કામ પૂર્ણ થતા સુધી રાહ જોવી પડે છે. બીજા લોકો શું વિચારે છે એની પરવા કાળચક્રને કયાં હોય છે? તે તો વાદળની જેમ ગર્જના કરીને, વિજળીની જેમ ચમકારો કરીને, ઘટાની જેમ ઘનઘોર વરસીને જળબંબાકાર કરીને પસાર થઈ જાય છે. પરિવર્તનની પ્રક્રિયાને સુનિયોજિત, પરંતુ ગાંડા હાથી જેવી ઉદ્દંડ માની શકાય છે. અત્યારે જાગૃત આત્માઓની પીઠ પર વારંવાર ઉદ્દબોધનોના ચાબુક એટલા માટે ફટકારવામાં આવી રહ્યા છે કે અવસરને ટાળવા માટે કોઈ વાસ્તવિક કે અવાસ્તવિક બહાનાં ન બતાવે. સમય તો કોઈની રાહ જોવાનો નથી. અવસર ચૂકી જનારને તો પછી પસ્તાવું જ પડે છે, પરંતુ આ તો અલભ્ય અવસર છે. તેને ચૂકી જનાર જાગૃત આત્માઓએ જ પસ્તાવું પડશે.
મફતિયું ખાનારા ન બનો : આજની વિષમ વેળામાં પેટ અને પ્રજનનનું રટણ જ ન કરવામાં આવે. લોભ અને મોહનાં બંધનોને થોડાંક તો શિથિલ કરવાં જ જોઈએ. સરેરાશ ભારતીય સ્તરના નિર્વાહથી સંતોષ માનો. ભવિષ્યમાં વ્યાજ કે ભાડા ઉપર કોઈનો નિર્વાહ થવાનો નથી. કોઈપણ ધનવાન બનીને વિલાસિતાપૂર્વક સગવડો ભોગવી શકવાનો નથી. એટલા માટે પોતાના વારસદારોને મફતિયું ખાવાની ટેવ પાડીને હરામ હાડકાંના કરી મૂકવાની મૂર્ખતા કદી ન કરવી જોઈએ. પેટ પેટની રીતે ભરાવું જોઈએ. તેને કદી ભરાય જ નહિ એટલું મોટું ન બનાવી દેવાય.
કામને ટાળવાનો રોગ : જે વ્યક્તિમાં કામને ટાળવાનો રોગ લાગી જાય છે તે પોતાના જીવનમાં કોઈ કામ કરી શક્તો નથી. તેનું દરેક કામ અધુરું પડી રહે છે. જો કે એવા લોકો હંમેશાં કામમાં વ્યસ્ત દેખાય છે, પરંતુ તેઓ પોતાનું કામ પૂર્ણ કરી શકતા નથી. કામનો બોજ તેમના માથા પર લદાઈ રહે છે અને તેઓ તેનાથી ડરીને કામને બીજા ઉપર ધકેલતા રહે છે.
લાલચ : લાલચ એક જબરજસ્ત તોફાન જેવી છે. જો મજબૂત મનનો માણસ પણ જાગૃત ન રહે, તો તેને પણ ગબડાવી દેવાની શક્તિ તે ધરાવે છે. જે વ્યક્તિ હંમેશા જાગૃત રહે છે તે જ સંસારની નાનીમોટી લાલચો, આકર્ષણ, ખોટો દંભ, દેખાવ તથા ટાપટીપથી મુકત રહી શકે છે. જો એકવાર તમે લાલચ અને વાસનાના ચક્કરમાં આવી ગયા તો વર્ષો સુધી તેનું પ્રાયશ્ચિત્ત કરતા રહેવું પડશે.
જુગાર : જુગારનું વ્યસન બધી રીતે નુકસાનકારક અને પતન કરનારું છે. જે હારે છે તે તો જાતજાતની મુશ્કેલીઓમાં ફસાઈ જાય છે જ, પરંતુ જે જીતે છે તે પણ મફતનો માલ સમજીને અનેક જાતનાં વ્યસનો અને ખરાબ કામોમાં તે પૈસા વાપરી નાખે છે. તેનાથી તેની આદત બગડે છે અને પછી પોતાની કમાણીને પણ હાનિકારક વ્યસનોમાં ખર્ચવા માંડે છે.
ક્યાંક આ દુર્ગુણો આપણામાં તો નથી ને ? : પાછળ ઉભા રહેનારા ઝંઝટમાં પડવાની દ્રષ્ટીથી તો પોતાને સુરક્ષીત માની લે છે, પણ હકીકતમાં તે ઘણા નુકસાનમાં રહે છે. જવાબદારીઓથી મોં ફેરવી લેવામાં, માત્ર મૂકદર્શક બનીને જોયા કરવામાં અને ઉદાસીનતા બતાવવામાં એ જોખમ છે કે ગૌરવ લઈ શકાય એવું કંઈ તેના હાથમાં આવતું નથી. આળસું તથા પ્રમાદી માણસ ગમે તેમ કરીને દિવસો તો પસાર કરી લે છે, પણ તેની ગણતરી અર્ધ મૃતકોમાં જ થાય છે. મનુષ્યજીવનની ગરીમા અને જવાબદારીને જે સમજી શકતો નથી તેને તો પેટ અને પ્રજનનમાં જ જિંદગીના દિવસો પૂરા કર્યા સિવાય બાજું કંઇ જ હાથ લાગતું નથી. સંતોષ તથા સન્માન મેળવીને, ઉન્નત મસ્તક રાખીને પ્રજ્ઞાવાન, પ્રગતિશીલ તથા વરિષ્ઠ લોકોની જેમ જીવવાનો અવસર મળી શક્તો નથી.
નકલ ન કરો : જેઓ અનીતિપૂર્વક કમાઈને વ્યસનોમાં ખર્ચ કરતા હોય તેમની નકલ ન કરો. બુદ્ધીશાળી કહેવડાવવું જરૂરી નથી. ચતુરતાની દ્રષ્ટિએ પક્ષીઓમાં કાગડો અને જાનવરોમાં ચિત્તાને મુખ્ય ગણવામાં આવે છે. એવા ચતુર અને દુ:સાહસીઓનું સ્થાન જેલખાનામાં હોય છે. છીછરા લોકોની નકલ ન કરો. વ્યક્તિત્વની દ્રષ્ટિએ લાલચું, ઉદ્ધત તથા ઉચ્છૃંખલ લોકોને તમારા માર્ગદર્શક ન બનાવો. આદર્શોની સ્થાપના કરતી વખતે શ્રેષ્ઠ સજ્જનોને, ઉદાર મહામાનવોને જ સામે રાખો. પતિતની પ્રશંસા કરીને તેનું અનુકરણ કરવાની ભૂલ ન કરો. સસ્તી લોકપ્રિયતા મેળવવામાં ખાસ કરીને ધૂર્ત લોકોને જ સફળતા મળે છે, પણ ખાસ યાદ રાખો કે એ પ્રાપ્તિ ખૂબ મોંઘી પડે છે. સંપતિવાન હોવાને કારણે જ કોઈને શ્રેય ન આપો કે તેના રસ્તે ચાલવાની ઉતાવળ પણ ન કરો. તેમાં જોખમ જ છે.
નીચે તરફ ન વહો : પૃથ્વીની આકર્ષણ શક્તિ દરેક વસ્તુને ઉપરથી નીચે તરફ ખેંચે છે. પાણી ઢાળ તરફ વહે છે. મનુષ્યની અંદર બેઠેલી જન્મ જન્માંતરોથી સંચિત દુષ્પ્રવૃત્તિઓ પણ તેને અનાચારની પ્રેરણા વહીને ઊંડા ખાડામાં પણ પડે છે. આ પતન તરફ જવાને બદલે મનુષ્યે આદર્શવાદી ઉત્કૃષ્ટતા અપનાવવી જોઈએ. ઉન્નતિ કરીને એવી પરિસ્થિતિ ઉત્પન્ન કરવી જોઈએ કે જેનાથી સ્નેહ અને સદ્દભાવ ભર્યા રાજમાર્ગ પર ચાલીને તૃષ્ટિ, તૃપ્તિ અને શાંતિનું વાતાવરણ બને.
નિરાશા : નિરાશા એ માનવીય દુર્ગુણ છે, જે બુદ્ધીને ભ્રમિત કરી નાખે છે. માનસિક શક્તિઓને વેર વિખેર કરી નાખે છે. આવી વ્યક્તિ અધૂરા મનથી, ડરીડરીને કાર્ય કરશે. આ અવસ્થામાં સફળતા કેવી રીતે મળી શકે? જ્યાં આશા ન હોય ત્યાં પ્રયત્ન પણ ન હોય અને પ્રયત્ન વિના તો આજ સુધીમાં કોઈ ધ્યેય પ્રાપ્તિ કરી શક્યું નથી અને ભવિષ્યમાં કરી શક્શે પણ નહી.
નિરાશાથી બચો ; જેની આશાનો દીપક બુઝાય ગયો, જેને નિરાશાએ ઘેરી લીધો, જેની આકાંક્ષાઓ સમાપ્ત થઈ ગઈ, ભવિષ્ય માટે જેની પાસે કંઈ વિચારવાનું કે કરવાનું નથી, એવી ઢસડાતી જીંદગીને મરવાના વાંકે જીવતા હોય એવી માનવી જોઈએ. જીવનનો અર્થ માત્ર શ્વાસ લેવો, ખાવું, સૂવું, એટલો જ નથી, પરંતુ તેથી વિશેષ છે. જેનામાં કોઈ શ્રેષ્ઠતા ન હોય તેવી જિંદગીને મૃતક જેવી માની શકાય છે. કેટલીક વ્યક્તિઓ તો જિંદગીને લાશની જેમ ઘસડતી રહે છે. આશા વિનાના લોકોને આ શ્રેણીમાં ગણવા જોઈએ.
માત્ર કુંઢાઈને બેસી ન રહો. : આજે મૂઢતા અને દુષ્ટતા તરફના મોહે આપણને લાચાર અને કાયર બનાવી દીધા છે. જેને અનુચિત તથા અનિચ્છનીય સમજીએ છીએ, તેને બદલવા તથા સુધારવાનું સાહસ કરી નથી શકતા. સત્યને અપનાવવાનું સાહસ પણ નથી અને અસત્યનો ત્યાગ પણ થતો નથી. તેઓ બબડાટ જરૂર કરે છે કે, અમે અયોગ્ય વિચારણા અને પરિસ્થિતિઓથી કંટાળી ગયા છીએ, પરંતુ જયારે સુધાર અને બદલવાની વાત આવે છે ત્યારે તેમના પગ થથરવા માંડે છે અને જીવ કંપી ઊઠે છે. કાયરતા નસે નસમાં ફરી વળી છે. જેઓ અનિચ્છનીય માન્યતાઓની સામે લડી નથી શકતા તેઓ આક્રમણકારીઓની સામે શું લડી શકવાના છે? જે પોતાના વિચારોને નથી સુધારી શક્તો તે પરિસ્થિતિનોને શું સુધારવાનો હતો? જે અંદરથી દરિદ્ર છે તે બાહ્ય જીવનને સંપન્ન કરવાનાં સપનાં કયાંથી સાર્થક કરી શકવાનો છે?
શ્રેષ્ઠતાનું મૂલ્ય ઘટાડશો નહિ. : આજના વાતાવરણમાં દરેકને સંપન્નતા અને વિલાસિતાની સગવડો જ સર્વસ્વ લાગે છે. તેઓ પોતાની માન્યતાને અનુરૂપ એક જ સલાહ આપી શકે છે કે, પરમાર્થની કષ્ટસાધ્ય પ્રક્રિયાથી વ્યાવહારીક રીતે માઈલો દૂર રહેવું જ લાભદાયક છે. તેમની વાતને જેઓ જે હદ સુધી સ્વીકારી લે છે, તેઓ તે હદ સુધી સ્વાર્થ મગ્ન રહે છે. પરમાર્થની દિશામાં આગળ વધવું તેમને માટે ખૂબ મુશ્કેલ બની જાય છે. કોઈ વાસ્તવિક કારણ ન હોવા છતાં તે કથન અભેધ દીવાલ બની જાય છે. તે સ્થિતિમાં સ્વાર્થના પિંજરાની બહાર એક કદમ પણ મૂકી શકાતું નથી. તેનાથી મુકત થવા માટે તુલસીદાસના એ પત્રથી જ અંગુલી નિર્દેશ મળી જાય છે, જે તેમણે મીરાના પત્રના ઉત્તરમાં લખ્યઓ હતો. તેમાં કહ્યું હતું કે -
જાકે પ્રિય ન રામ વૈદેહી, તજિયે તાહિ કોટિ બૈરીસમ, યધપિ પરમ સ્નેહી,
પિતા તજ્યો પ્રહલાદ, વિભીષણ બંધુ, ભરત મહતારી, બલી ગુરુ તજ્યો,
કંથ વ્રજ બનિતન ભયે મુદ મંગલકારી.
દુષ્કર્મ ખોટનો સોદો. : અનેકવાર એ પરીક્ષણ થઈ ચૂકયું છે કે દુષ્ટતા કોઈને માટે પણ લાભદાયક નથી. જેણે પણ તે અપનાવી તેઓ ખોટમાં રહ્યા અને વાતાવરણને દૂષિત બનાવી દીધું. હવે આ પરીક્ષણ આગળ પણ ચાલુ રાખવાથી કોઈ લાભ નથી. આપણે આપણું જીવન દળેલાને ફરી દળવામાં ન વેડફીએ તો સારું. અનીતિને અપનાવીને સુખની આકાંક્ષા પૂર્ણ કરવી તે કોઈના માટે શક્ય નથી, તો પછી આપણા માટે અસંભવિત વાત કઈ રીતે સંભવિત બને?
પોતાની અવગણના કરવી તે પાપ છે. : પ્રાણ આપણી છે, પ્રતિભા પણ આપણી છે, પરંતુ અણઘડ સ્થિતિમાં તે ઝાડીઝાંખરાથી ભરેલી રહી છે. તેને સુરમ્ય ઉધાનમાં બદલવા માટે કુશળ માળીની જેમ અનુભવ અને જાગૃત પ્રયત્ન જોઈએ. જે લોકો આ કરી શકે છે તેઓ જ અનુભવી શકે છે કે, ‘ઈશ્વર અંશ જીવ અવિનાશી’ આ સિદ્ધાંત સોળ આના સાચો છે. તેમાં કોઈ પણ પ્રકારની અત્યુક્તિ નથી. જેઓ પોતાની જાતની અવગણના કરે છે તેઓ ખોટમાં જાય છે. જેઓ પોતાની અવહેલના કરે છે તેઓ બીજાઓથી પણ તિરસ્કૃત થતા રહેશે અને પોતે ખોટમાં જશે.
ભૂલો એ અપરાધ જેવી છે. : ભૂલો એ છે, જે અપરાધની કક્ષામાં આવતી નથી, પરંતુ વ્યક્તિના વિકાસમાં તે બાધક બને છે. ચીડિયાપણું, ઈર્ષ્યા, આળસ, પ્રમાદ, કડવી વાણી, અસભ્યતા, નિંદા, ચાડીચુગલી, કુસંગ, ચિંતા, મુશ્કેલી, વ્યસન, વાસનાત્મક કુવિચારો અને દુર્ભાવનાઓમાં જે સમય બરબાદ થાય છે તેને સ્પષ્ટપણે સમયની બરબાદી કહી શકાય. પ્રગતિના માર્ગમાં આવા નાના નાના દુર્ગુણો જ બહુ મોટી અડચણ બની જાય છે. આ ભૂલો અપરાધોની જેમ જ નુકસાનકારક છે.
સાચું સુખ. : મનુષ્યનું સાધ્ય એવા સુખ અને શાંતિનું નિવાસસ્થાન તેની ઈચ્છાઓ, ઉપલબ્ધીઓ અથવા ભોગવિલાસમાં નથી. એ તો ઓછામાં ઓછી ઈચ્છાઓ, વધુમાં વધુ ત્યાગ અને વિષયવાસનાના વિષથી બચવાથી જ પ્રાપ્ત કરી શકાય છે. જેઓ નિ:સ્વાર્થી, નિષ્કામ, પુરુષાર્થી, પરોપકારી, સંતોષી તથા પરમાર્થી છે, તેઓ જ સાચા સુખ અને શાંતિના અધિકારી છે. સાંસારિક સ્વાર્થ અને લિપ્સાઓથી બંધાયેલા મનુષ્યે સુખશાંતિની ઈચ્છા ન રાખવી જોઈએ.
‘અંધકારમાંથી મને પ્રકાશ તરફ લઈ જા’
પ્રકાશની અંત:ચેતનામાં સત્ય અને ચેતનાની સાથે સૌદર્ય પણ છે. અજ્ઞાન અંધ અને કુરૂપ છે. તેના પર હંમેશા પ્રકાશ શાસન કરે છે. વ્યાવહારિક જીવનમાં પણ જ્ઞાની માણસ જ અજ્ઞાની ઉપર વિજયી થાય છે. જ્ઞાનનો જ બધે આદર થાય છે. સૌંદર્ય બધાને મધુર અને પ્યારું લાગે છે. બધા તેના તરફ આકર્ષાય છે અને તેની પાસે થોડો સમય વિતાવવાની ઈચ્છા રાખે છે. પોતાના આ સ્વરૂપમાં તે લૌકિક સુખોનો દાતા બની જાય છે. એટલા માટે એ જરૂરી છે કે અંધકાર તરફ ન જતાં પ્રકાશ તરફ ગતિ કરો. આ પ્રકાશ જ જીવનમાં આનંદ બનીને ઓતપ્રોત થઈ જાય છે.
Tweet This Post
Recent Comments