Archive

Archive for February 19th, 2010

આજનું ચિંતન :

February 19th, 2010 No comments

સજ્જનતાની નિશાની છે નમ્રતા. આને જ સભ્યતા અને શિષ્ટતા પણ કહે છે. વિધાનું પ્રતિફળ પણ આ જ છે. ‘ખાલી ઢોલ વધારે વાગે’ આ કહેવતને અહંકારિતા માટે સાચી થતી જોઈ શકાય છે. વાસ્તવમાં તેઓ જેવા હોય છે તેના કરતાં કંઈક વધારે હોય તેવું દેખાડત હોય છે. કોઈને ધમકાવવું અને કોઈને ન્યાલ કરી દેવાનું આશ્વાસન પણ આવા જ ક્ષુદ્ર લોકો આપતા જોવા મળે છે. આનાથી વ્યક્તિનું હલકાપણું જ પ્રગટ થઈ જાય છે. આત્મસન્માનનું રક્ષણ કરવું હોય તો અહંકારથી બચવું જોઈએ.

જીવનનાં ઘણાં પાસાં છે. જરૂરી એ છે કે તેનાં બધાં પાસાં પર પૂરતું ધ્યાન આપવામાં આવે અને જે દિશામાં કામ કરવાનું હોય તેને પૂરા ઉત્સાહ સાથે કરવામાં આવે.

જે મનુષ્ય અથવા રાષ્ટ્ર ભાગવત્ મુહૂર્તના સમયે સૂતેલાં રહે અથવા તેના ઉપયોગ માટે તૈયાર ન હોય તે અભાગિયા છે, કેમ કે તેના સ્વાગત માટે દીપ સજાવીને રાખવામાં આવ્યા નથી અને તેનો પોકાર સાંભળી કાન બંધ કરી દેવામાં આવ્યા છે, પરંતુ તેના કરતાંય જેઓ બળવાન અને તૈયાર હોવા છતાં એ સમય ચૂકી જાય છે તેઓ વધારે અભાગિયા છે. તેમના ભાગ્યમાં પૂરી ન શકાય તેવી ક્ષતિ અથવા મહાન વિનાશ હોય છે.

સ્વાધ્યાય યુવાનોને સંયમી બનાવી દે છે. તે વૃદ્ધત્વનો આરામ છે. નિર્ધનતામાં ધનનું કામ આપે છે અને ધનવાનો માટે આભૂષણનું કામ છે.

જે મનુષ્ય ખરાબ કર્મો છોડતો નથી, જેણે પોતાની ઈન્દ્રિયો જીતી નથી, જેનું મન એકાગ્ર નથી અને જેનું ચિત્ત શાંત નથી તેને આત્મસાક્ષાત્કાર ક્યારેય થતો નથી.

Categories: સુવિચાર Tags: