આજનું ચિંતન :
બીજા લોકો તમારી સાથે કેમ વર્તે છે તેની ચિંતા ન કરો, આત્મોન્નતિ માટે તત્પર રહો. જો આ તથ્યને સમજી લીધું તો એક મોટા રહસ્યને પામી લીધું સમજો.
સૌ પ્રથમ પોતાની જાતને શિસ્તબદ્ધ બનાવો કારણ કે આચરણ વિના આત્માનુભવ નહીં થઈ શકે. નમ્રતા, સરળતા, સાધુતા અને સહનશીલતા- આ બધા આત્માનુભવ કરાવવા માટેના મુખ્ય અંગો છે.
સહનશીલતા કેળવો, તમારી જવાબદારી સમજો. કોઈના દોષ જોઈને તેના ઉપર ટીકાટિપ્પણી કરતા પહેલાં તમારા પોતાના દોષોને બારીકાઈથી તપાસો. જો તમારી વાણી પર કાબુ ન મૂકી શકતા હો તો તેને બીજા સામે ન વાપરતાં તમારા માટે વાપરો.
યાદ રાખવું જોઈએ અને વિશ્વાસ કરવો જોઈએ કે આ સંસારમાં મનુષ્ય માટે કોઈ વસ્તુ કે ઉપલબ્ધિ અપ્રાપ્ય નથી તથા કોઈપણ વ્યક્તિ કોઈપણ રીતે અયોગ્ય નથી. અયોગ્યતા માત્ર એક જ છે અને તે છે પોતાના પ્રત્યે અવિશ્વાસ. જો પોતાનું સાચું મૂલ્યાંકન કરવામાં આવે તો કોઈપણ મુશ્કેલી મનુષ્યને તેના લક્ષ્ય સુધી પહોંચાતાં રોકી શકતી નથી.
જગતમાં કેટલાક લોકો પોતાને જેમણે મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે તેવા જુદા માને છે. આમ વિચારવું કેટલું નુકસાનકારક છે તેનું અનુમાન ફક્ત એ વાત પરથી કરી શકાય છે કે આ પ્રકારના વિચાર જ કેટલીય વ્યક્તિઓને ઉન્નતિના શિખર પર પહોંચતાં અટકાવી દે છે. પોતાને અધૂરા તથા અલ્પ શક્તિશાળી માનનારા લોકો દેવતા કેવી રીતે બની શકે ?
Recent Comments