આજનું ચિંતન :
ફકત જ્ઞાન જ એક એવું અક્ષય તત્વ છે, જે ક્યાંય પણ, કોઈપણ અવસ્થામાં અને કોઈપણ કાળમાં મનુષ્યનો સાથ છોડતું નથી.
દુ:ખથી નુકસાન ત્યારે જ થાય છે, જ્યારે મનુષ્ય તેનાથી ટેવાઈ જઈને દીનહીન બની જાય અને તેનાથી છુટકારો મેળવવા માટે પ્રયત્ન જ ના કરે.
વિપત્તિઓ અને અસફળતાઓની શંકાનું વિષ પીતા રહેવાથી સાહસ અને પુરુષાર્થ ખતમ થઈ જાય છે. આ પ્રકારનું અશુભ ચિંતન જેના મનમાં ચાલતું હોય છે તેઓ નિરાશ રહે છે અને ભવિષ્યને વિપત્તિગ્રસ્ત માની લઈને શોકસંતાપમાં ડૂબેલા રહે છે.
સત્યની શ્રેષ્ઠતા સર્વોપરી છે. સ્પષ્ટરૂપે તેનો વિરોધ થઈ શકતો નથી.
વાસનાઓ ચોર સમાન હોય છે. જેવી રીતે ચોર અંધારાનો લાભ લઈને નિર્બળ વ્યક્તિને લૂંટી લે છે, તેવી જ રીતે વાસનાઓ પણ નિર્બળ ઈચ્છાશક્તિવાળી, નિર્બળ ચારિત્ર્યવાળી મૂઢ વ્યક્તિઓ પર હુમલો કરે છે.
જ્યાં સસ્તું ખરીદવામાં તથા વેચવામાં આવે છે તે છેતરપિંડી છે. ઈશ્વરને પ્રાપ્ત કરવાનું અને ધર્મનું પાલન કરવાનું એટલું સસ્તું નથી, જેટલું ધુતારા લોકો મૂર્ખાઓને કહીને બહેકાવતા હોય છે.
સારી યોજના ઘડવી, જે કરવાનું હોય તેના પર સારી રીતે વિચાર કરવો અને ઈચ્છિત કાર્યને અનુરૂપ સાધનો ભેગાં કરવાનું જેટલું જરૂરી છે તેટલું જ તેને ઉચ્ચ મન અને સંપૂર્ણ મહેનતથી પૂરું કરવામાં આવે તે પણ જરૂરી છે.
Recent Comments