પ્રેરણા દાયક પ્રવચન : જીવનની લગામ તમારા હાથમાં
જીવનની લગામ તમારા હાથમાં
ભાગ્યે જયાં નાંખ્યા ત્યાં જ પડી રહીને કહીએ કે હું શું કરું? નસીબ સાથ નથી આપતું, બધા જ મારી વિરોદ્ધ છે, બધા હરીફાઈ કરવામાં પડયાં છે, જમાનો બહુ ખરાબ થઈ ગયો છે. આ બધી વાતો માણસનું અજ્ઞાન છતું કરે છે. આ અજ્ઞાને અનેકનાં જીવન બગાડ્યાં છે. મનુષ્ય ભાગ્યના હાથની કઠપૂતળી છે, રમકડું છે, કાચી માટી છે, જેને ગમે તે સમયે મસળી શકાય છે. આ બધી વાતો અજ્ઞાન, મોહ તેમજ કાયરતાનું પરિણામ છે.
પોતાના અંત:કરણમાં જીવનમાં બીજ વાવો અને સાહસ, પુરુષાર્થ તથા સત્સંકલ્પોના છોડને પાણી પિવડાવીને ઉછેરો. જોડે જોડે કુકર્મરૂપી નકામા ઘાસને ઉખાડી નાંખો. ઉમંગ, ઉત્સાહ અને પુરુષાર્થની હવાને લહેરાવો.
તમે જ તમારા ભાગ્યના, પરિસ્થિતિઓના કે પ્રસંગોના ઘડવૈયા છો. તમે જ તમારા જીવનને શ્રેષ્ઠ માર્ગે કે પતનના માર્ગે લઈ જઈ શકો છો. જ્યારે તમે સુખ અને સંતોષ મેળવવા માટે પ્રયત્ન કરો છો તો એ સમયે તમારા મનમાં આવા વિચારો ચાલતા હોય છે. તેથી એ સંતોષ અને સુખના ભાવ તમારા મોઢા પર દેખાય છે. જ્યારે તમે દુ:ખી હો છો ત્યારે તમારું મોં મુરઝાયેલા ફૂલ જેવું દેખાય છે અને તમારી શક્તિ ઓછી થાય છે.
શક્તિની, પ્રેમની, બળ અને પૌરુષની વાત વિચારો, દુનિયાના શ્રેષ્ઠ, વીર અને મહાપુરુષોની જેમ તમે પોતે એવી પરિસ્થિતિનું નિર્માણ કરો. પોતાની ગરીબાઈ, અણઆવડત, કમજોરી અને નિરાશાને દૂર કરવાની ક્ષમતા તમારામાં છે, ફકત તમારા મનને અને આત્મબળને સારું વિચારવાની ટેવ પાડો. તમારી અંદર રહેલી શક્તિને ઓળખો અને જગાડો અને મહાન તથા સુખી બનો.


Recent Comments