પ્રેરણા દાયક પ્રવચન : સત્યમાં અખૂટ બળ ભરેલું હોય છે
સત્યમાં અખૂટ બળ ભરેલું હોય છે :
તમે હંમેશા સત્ય બોલો, તમારા વિચારોને સત્યથી ભરપૂર બનાવી સત્યનું આચરણ કરો અને પોતાને સત્યથી તરબોળ રાખો. આમ કરવાથી તમને એક એવું પ્રચંડ બળ પ્રાપ્ત થશે, જે સંસારનાં તમામ બળોમાં સર્વશ્રેષ્ઠ હશે. કન્ફયુશિયસ કહેતા હતા કે સત્યમાં હજાર હાથીઓ જેટલું બળ હોય છે. એની સરખામણી ભૌતિક જગતના બીજા કોઈ પણ બળ સાથે કરી શકાતી નથી.
જે પોતાના આત્મા સમક્ષ સાચો છે, જે પોતાના અંતરાત્માના અવાજ મુજબ આચરણ કરે છે, બનાવટ, છળકપટ અને ચાલાકીને ત્યજી દઈને જેણે ઈમાનદારીને પોતાની નીતિ બનાવી લીધી છે, તે આ દુનિયામાં સૌથી બુદ્ધિશાળી મનુષ્ય છે કારણ કે સદાચરણથી મનુષ્ય શક્તિનો સ્ત્રોત બની જાય છે. એને કોઈ ભયભીત કરી શક્તું નથી. એને કોઈનો પણ ડર લાગતો નથી. જ્યારે જૂઠા અને મિથ્યાભિમાની લોકોનું કાળજું વાતવાતમાં શંકાશીલ રહે છે અને પીપળાનાં પાંદડાંની જેમ ફફડતા રહે છે.
ધનબળ, જનબળ, શરીરબળ, મનોબળ વગેરે અનેક પ્રકારનાં બળ આ સંસારમાં હોય છે, પરંતુ સત્યનું બળ બધામાં સર્વશ્રેષ્ઠ છે.સાચો મનુષ્ય એટલો શક્તિશાળી હોય છે કે એની આગળ મનુષ્યોને તથા દેવતાઓને જ નહીં,પરંતુ પરમાત્માને પણ નમવું પડે છે.


Recent Comments