પ્રેરણા દાયક પ્રવચન : પ્રેમનું સાચું સ્વરૂપ.
પ્રેમનું સાચું સ્વરૂપ.
પ્રેમ અને આત્માનું ઉદ્દગમસ્થાન અંતરાત્મા જ છે. એને પરમાત્માની સાથે જોડવાથી જ અપાર અને સ્થાયી આનંદ પ્રાપ્ત થઈ શકે છે. સાંસારિક નાશવંત વસ્તુઓના ખભે જો આત્મીયતાનો ભાર નાખવામાં આવે તો એ નાશવંત વસ્તુઓનો નાશ થતાં સહારો છૂટી જાય છે અને તેથી તેમના ખભે નાખેલો બોજ એકદમ નીચે આવી જાય છે. એના પરિણામે ખૂબ ચોટ લાગે છે અને આપણે ઘણા સમય સુધી તરફડીએ છીએ. ધનનો નાશ થતાં, પ્રિયજનનું મૃત્યું થતાં કે અપયશ મળતાં કેટલાય લોકો રડતા કકળતા અને જીવનને નષ્ટ કરતા જોવા મળે છે.
રેતી પર મહેલ બનાવીને એને અજરઅમર રાખવાનું સ્વપ્ન જોનારાઓની દુર્દશા થાય છે. એવી જ દુર્દશા આ હાહાકાર કરતા પ્રેમીઓની થાય છે. ભૌતિક પદાર્થો નાશવંત છે. તેથી એમની સાથે પ્રેમ જોડવો તે એક લૂલો લંગડો અને અધૂરો સહારો છે, જે ગમે ત્યારે તૂટી પડે છે અને તે તૂટી જતાં પ્રેમીને હ્રદયવિદારક વેદના થાય છે. પ્રેમનો ગુણ તો આનંદ છે.
પ્રેમનું આધ્યાત્મિક સ્વરૂપ એ છે કે પરમાત્માને આત્માનો આધાર બનાવવામાં આવે. ચેતન અને અજરઅમર આત્માનો આધાર સચ્ચિદાનંદ પરમાત્મા જ બની શકે. તેથી જડપદાર્થો, ભૌતિક વસ્તુઓ વગેરેમાંથી ચિત્તને ખસેડીને પરમાત્મા સાથે જોડવું જોઈએ.


Recent Comments