પ્રેરણા દાયક પ્રવચન : આત્મશક્તિનો વિકાસ
પ્રેરણા દાયક પ્રવચન : આત્મશક્તિનો વિકાસ
મનુષ્યના જીવનને મુખ્ય ઉદ્દેશ્ય પોતાની આત્મિક શક્તિઓનો વિકાસ કરવાનો છે. જે પ્રાણી મનુષ્યનો દેહ ધારણ કરવા છતાં પણ આત્મિક શક્તિઓનો વિકાસ કરી શકતું નથી, પોતાના આત્માની નજીક પહોંચી શકતું નથી તે આ સંસારમાં શાન્તિ પ્રાપ્ત કરી શકતું નથી અને પરલોકને સુખમય બનાવી શક્તું નથી. તેથી જો મનુષ્ય સાચી શાંતિ મેળવવા ઈચ્છતો હોય, પોતાના જીવનને સુખી બનાવવા ઈચ્છતો હોય તો એણે અવશ્ય પોતાની આત્મિક શક્તિઓનો વિકાસ કરવો જોઈએ, કારણ કે આત્મા જ પૂર્ણ શાંતિ અને સુખનો ભંડાર છે.
આપણે ભૂલ કરીએ છીએ અને સાંસારિક વિષયોમાં સુખ શોધીએ છીએ, પરંતુ સંસારના વિષયોમાં સુખ ક્યાં છે? તેઓ તો જડ છે. સુખ એ ચેતન પદાર્થનો ગુણ છે.
બિચારો જડ પદાર્થ આપણને કઈ રીતે સુખ આપી શકે? જે વસ્તુ પોતે જ ક્ષણભંગુર છે તે આપણને શાશ્વત શાંતિ કેવી રીતે આપે? સાંસારિક વિષયભોગ તો બાળક નચિકેતાના કથન પ્રમાણે કાલ સુધી જ રહેવાના છે. એમની પાસેથી સુખ મળવું તો દૂર રહ્યું, પરંતુ તેઓ આપણી ઈન્દ્રિયોનાં તેજ અને શક્તિને પણ નષ્ટ કરી નાખે છે.


Recent Comments