Home > ઋષિ ચિંતન > બેઈમાની નહીં, ઈમાનદારીનો માર્ગ અપનાવીએ

બેઈમાની નહીં, ઈમાનદારીનો માર્ગ અપનાવીએ

November 25th, 2009 Leave a comment Go to comments

ઈમાની નહીં, ઈમાનદારીનો માર્ગ અપનાવીએ

કયારેક એવું લાગે છે કે  જલદી અને અધિક કમાણી કરવા માટે અપ્રમાણિકતાનો પ્રયોગ કરવો જરૂરી છે, કારણ કે ધનવાન લોકોમાંથી અધિકાંશ એવા દેખાય છે કે જેમના ક્રિયાકલાપમાં બેઈમાની દેખાય છે. પ્રમાણિક લોકોમાંથી ઘણાખરા ગરીબ જ દેખાય છે. તેથી સામાન્ય બુદ્ધિથી એમ સમજાય છે કે આપણે પણ જો પ્રમાણિક રહીશું તો ગરીબ બની જઈશું, કારણ કે આજે ધનની બોલબાલા છે. ધનના આધારે જ અધિકસુવિધા-સાધન, સફળત તથા સન્માન પ્રાપ્ત થાય છે. તેથી સ્થૂળ બુદ્ધિથી સ્થિતિનું અવલોકન કરનારા બહુમતિ લોકો સામાન્ય રીતે તે જ ઘરેડને અપનાવી લે છે, જે આડોશપાડોશના લોકો પણ અપનાવતા જોવામાં આવે છે. આજની વ્યાપક ક્ષેત્રમાં ફેલાયેલી બેઈમાનીનું મુખ્ય કારણ છે.

વસ્તુસ્થિતિની ઝીણવટથી તપાસ કરવાથી બુદ્ધિભ્રમ થઈ જવો સ્વાભાવિક છે. બેઈમાનીનું ગૌરવ સ્વીકારીને લોકો બુદ્ધિભ્રમથી  ગ્રસ્ત જ થઈ ગયા છે. વાસ્તવમાં એવું છે જ નહીં. બેઈમાનીથી ધન કમાઈ શકાતું નથી. કમાઈ લેવામાં આવે તો તેને સ્થિર રાખી શકાતું નથી. લોકો જે ગુણોથી કમાય છે, તે બીજા જ (ગુણો) છે. બેઈમાનીની આડમાં કોઈ અયોગ્ય લાભ લી લેવામાં આવે તો તેનો અર્થ એવો નથી કે તેનું પરિણામ લાભદાયક આવે છે. સાહસ, હૈયા ઉકલત, સૂઝબૂઝ, મધુર ભાષણ, વ્યવસ્થા આદિ એવા ગુણો છે, જે ઉપાર્જન કરે છે. બેઈમાની તો અપયશ, અવિશ્વાસ, ઘૃણા, અસહયોગ, રાજદંડ, આત્મગ્લાનિ આદિ દુષ્પરિણામો જ ઉત્પન્ન કરે છે. વસ્તુત: લોકો સદ્દગુણોના આધારે કમાય છે. બેઈમાનીનું તાત્પર્ય છે બીજાને દગો દેવો. આ ત્યારે જ શક્ય છે, જયારે તેના ઉપર ઈમાનદારીનું આવરણ ચડાવી દેવામાં આવે કોઈને ત્યારે જ છેતરી શકાય, જ્યારે તેને આપણી ઈમાનદારી અને વિશ્વસનીયતા વિષે આશ્વાસન આપવામાં આવે. જો કોઈને એવો શક થઈ જાય કે પોતાની સાથે બેઈમાની કરવા માટે તાણાવાણા ગૂંથાઈ રહ્યા છે, તો તે છેતરાશે નહીં અને ચાલાકીથી મળતો લાભ મળી નહીં શકે. બેઈમાનો ત્યારે જ લાભદાયક થઈ શકે, જ્યારે તેને ઈમાનદારીનો અંચળો ઓઢાડી સારી રીતે છુપાવી લીધી હોય. અસલિયત પ્રગટ થઈ જાય છે ત્યારે બેઈમાની કરનાર માત્ર તે સમય પૂરતો જ નહીં, પરંતુ સદાને માટે લોકોનો વિશ્વાસ ખોઈ બેસે છે અને લાભ મેળવવાને બદલે ઊલટાની ખોટ ખાય છે.

બેઈમાનીનું પ્રતિફળ ઘૃણા, અવિશ્વાસ, અસહયોગ, રાજદંડ છે. તેમાં ઉપાર્જનની કોઈ ક્ષમતા નથી. ઉપાર્જન તો સદ્દગુણથી થાય  છે. તેમાં જ ઉત્પાદનનાં તત્વો સમાયેલાં છે. સંસારમાં મોટાં કામ, મોટા વ્યાપાર, મોટાં આયોજન,  ઈમાનદારીના આધાર ઉપર જામ્યાં, વધ્યાં અને સફળ થયાં છે. જેણે પોતાની વિશ્વસનીયતાની છાપ બીજા ઉપર પાડી દીધી, સારી, સાચી, ખરી ચીજો વાજબી ભાવે આપી અને વ્યવહારમાં પ્રમાણિકતા સિદ્ધ કરી દીધી તો લોકો તેના ઉપર મુગ્ધ થઈ જાય છે અને સદાને માટે તેના ગ્રાહક, પ્રશંસક અને સહયોગી બને છે. ઉન્નતિનું રહસ્ય આ જ છે. જેનામાં પ્રમાણિકતા છે તેનું ભવિષ્ય  ઉજ્જવળ છે, પરંતુ જે પોતાની મૂર્ખતાના કારણે બદનામ થઈ ગયો તેનો રક્ષક તો ઈશ્વર જ છે. આજના મિત્ર કાલે દુશ્મન બનશે. કાલના મિત્ર પરમ દિવસે તિરસ્કાર કરવા લાગશે અને છેવટે કોઈ તેનો સાચો મિત્ર કે સહયોગી નહીં રહે. સ્વાર્થને માટે ખુશામદ કરનાર પણ નબળા સમયે કામ નહીં આવે. વિશ્વાસ કરીને જોખમ ઉઠાવવા માટે પેલા ‘ખુશામતિયા’ મિત્રો પણ સમય આવ્યે તૈયાર નહીં થાય.

આપણી એ ભ્રમ કાઢી નાંખવો જોઈએ કે બેઈમાનીથી જ કમાઈ શકાય છે. તે શરાબની જેમ ઉત્તેજના માત્ર છે, જેનાથી છેતરનાર  અને છેતરાનાર બન્ને બુદ્ધિભ્રમમાં ગ્રસ્ત થઈ જાય છે. નશો ઊતરતાં નશાબાજની જે ખરાબ  હાલત  થાય છે એવી જ હાલત પોલ ખૂલી જવાથી બેઈમાન માણસની પણ થાય છે. તેનો કારભાર રહેતો નથી, કોઈ ગ્રાહક કે સહયોગી રહેતો નથી. દૂધમાં પાણી અને ઘીમાં વેજિટેબલ મેળવનાર ત્યારે જ કમાઈ શકે, જ્યારે તે સોગંદ ખાઈને પોતાની ઈમાનદારી અને ચીજના અસલીપણાનો વિશ્વાસ બંધવે છે અહીં જ ઈમાનદારી અને વિશ્વાસનો વિજય છે. જે કમાઈ લીધું તેનો આધાર વિશ્વાસ જ હતો. જો આ લોકો પોતાની દુકાનૌપર પાણી અને આરાનો લોટ મેળવેલું દુધ કે ભેળસેળવાલા ઘીનું સાઈનબોર્ડ લગાવે અને પોતાની વસ્તુના દોષો પ્રગટ કરે, તો ખબર પડે કે શું બેઈમાનીથી કંઈ કમાઈ શકાય છે ખરું ?

‘વેસ્ટન્ડ વોચ’ કંપનીની ઘડિયાળો, ફોર્ડની મોટરો, પાર્કરની પેનો મોંઘી હોવા છતાં લોકો ખુશીથી ખરીદે છે, કારણ કે વસ્તુની પ્રમાણિકતા ઉપર હરકોઈ ભરોસો કરે છે. તેની દિનપ્રતિદિન ઉન્નતિ થતી જાય છે. તેનાથી ઊલટું નકલી, કમજોર તથા ખરાબ ચીજો વેચનારા દિવસે દિવસે દેવાળિયા થતા જાય છે, મિલકત ગુમાવે છે અને ફરીથી તે બદનામીને કારણે નવું  કામ કરી શકવામાં સફળ થતા નથી. બેઈમાની લાંબો સમય ગુપ્ત રહી શકતી નથી પારાને પચાવી શકાતો નથી તથાઅ પાપને છુપાવી શકાતું નથી. પ્રગટ થતાં જ બન્ને ભારે કષ્ટ આપે છે.

વ્યાપારની જેમ જ જીવનના હરક્ષેત્રની સફળતાનું ટકાઉપણું કઠોળ શ્રમ, સદ્દગુણ, સદ્દવ્યવહાર, સચ્ચાઈ,  ઈમાનદારી અને પ્રમાણિકતા ઉપર રહેલું છે. ચાલાકીથી એકાદવાર કોઈને ચમત્કૃત કરીને પોતાનું ધાર્યું કામ કરાવી શકાય, પણ તે લાભને સ્થિર રાખી શક્તો નથી. ચોર, ડાકું, ખિસ્સાકાતરું વગેરે શરૂઆતમાં બહુ પૈસા કમાય છે, પણ આ કમાણીને સ્થિર રાખવી કે તેનો સદુપયોગ કરવો  તેમના વશમાં નથી. વાદળાના પડછાયાની જેમ અનીતિની કમાણી પણ  અપવ્યય અને વ્યર્સનોમાં જોત જોતામાં ખલાસ થઈ જાય છે.

સંપત્તિથી નહીં, પરંતુ સદ્દબુદ્ધિ અને સત્પ્રવૃત્તિઓથી ઉન્નતિ થાય છે. ધનવાન નહીં, ચરિત્રવાન સુખ મેળવે છે. ઈમાનદારીથી કદાચ ઓછી કમાણી થાય, તો પણ અનીતિથી અધિક કમાવા કરતાં શ્રેયસ્કર છે. પરસેવાની કમાણી ફુલેફાલે છે અને હરામનો પૈસો પાણીના પરપોટાની જેમ નષ્ટ થઈ જાય છે. એટલું જ નહીં, વિદાય પછી બહુ જ પ્રશ્ચાત્તાપ, સંતોષ અને અપયશ મૂકીને જાય છે.

બેઈમાનીથી ધન કમાઈને ધનવાન બનવું જરૂરી નથી. સંસારમાં અધિકાંશ લોકો ગરીબ જ છે. આપણે પણ  તેઓમાંના એક રહીએ, તો શું નુકસાન છે? પરંતુ વાસ્તવિકતા એ છે કે માત્ર ધન જ નહીં, સ્વાસ્થ્ય, સંતોષ અને સન્માનના ક્ષેત્રે પણ ચરિત્રવાન અને  ઈમાનદાર લોકો જ સમૃદ્ધ અને સફળ બને છે. સફળતા પ્રાપ્ત કરી લેવી એટલું જ પૂરતું નથી. તેનાથી આત્મસંતોષ, જનક્લ્યાણ અને સ્વાસ્થ્ય પરંપરાનું અભિવર્ધન થવું જોઈએ. સાચી રીતે પ્રાપ્ત કરેલી સફળતા જ વાસ્તવિક સફળતા છે. જો કોઈ પ્રકારની ઉન્નતિ કે ઉપલબ્ધિ અયોગ્ય રીતે કરી હશે, તો બીજા અનેકોને એવું જ કરવાની ઈચ્છા થશે અને સમાજમાં એક એવી પ્રથા ચાલું થઈ જશે, જે દરેકને માટે અહિતકર પરિણામ જ ઉત્પન્ન કરતી રહેશે.

સદ્દગુણોનું ખાતર અને સચ્ચાઈનું પાણી પાઈને જવ્યક્તિત્વનો છોડ વધે છે અને ફુલેફાલે છે. જાદુથી હથેળીમાં સરસવ દેખાડી તો શકાય છે, કૌતુક તો જોઈ શકાય છે, પણ તેનું તેલ કાઢીને ધન કમાઈ શકાય તે સંભવ નથી. બેઈમાનીનો ચમત્કાર તો જોઈ શકાય છે, પણ તેને સહારે સાચી પ્રગતિ અને સ્થિર સંપદાનો લાભ ઉઠાવી શકાતો નથી. જોએ આપણે વસ્તુત: કંઈ કહેવાલાયક અને આનંદદાયક ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરવા માગતા હોઈએ, તો એક જ રસ્તો છે કે આપણે ઈમાનદારે અને ભલમનસાઈને જીવનનીતિની જેમ હ્રદયંગમ કરીએ, સદ્દગુણોની સંપદાથી આપણા વ્યક્તિત્વને સુસજ્જિત કરતા રહીએ. જે રીતે રૂપિયાના બદલામાં દુકાનો ઉપર વેચાતી ચીજો આસાનીથી ખરીદી શકાય છે, તે જ રીતે સદ્દગુણોના મૂલ્ય ઉપર પ્રગતિની કોઈપણ દિશામાં ઝડપથી અગ્રેસર થઈ શકાય છે.

બેઈમાનીની નીતિરીતિ સ્વીકારવાનું પરિણામ પોતાને માટે વિપત્તિ અને સમાજને માટે દુર્ગતિના રૂપમાં પ્રગટ થશે. આ કંટકછાયા પંથે ચાલવા કરતાં એ જ વધુ સારું છે કે તે માર્ગે ચાલનારાની દુર્ગતિ જોઈએ અને એટલાથી જ સાવધાનીપૂર્વક વર્તવા લાગી જઈએ. ઈતિહાસના કોઈ પણ પાના ઉપર આ તથ્ય જોઈ શકાય છે કે વિભૂતિઓ અને સંપત્તિઓનો લાભ માત્ર તેઓને જ મળે છે કે જેઓ સદ્દગુણી, ચરિત્રવાન અને ઈમાનદાર છે.

  1. No comments yet.
  1. No trackbacks yet.